શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.
નીરવ નામે એક અનોખું વ્યક્તિત્વ છે જે નીત નવું શોધવાની તરફેણમાં ઘુમતો હોય છે. નવું નવું જાણવાનું, શોધવાનું, અભિનવ પ્રયોગ કરવાનો આ તેના જીવનનો એક અભિન્ન ભાગ હોય છે. તે ક્યારેય જંપીને બેસતો નથી. કહેવાય છે, "જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ", પણ નીતાની જાણકારી મુજબ, "જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે નીરવ". તેના આ અભિનવ પ્રયોગને કારણે આકર્ષાયને નીતાએ નીરવ સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો.
એક દિવસ બન્ને ફરતાં ફરતાં ખૂબ દૂર નીકળી ગયાં. સૂરજ પણ અસ્તાચળમાં જઈ રહ્યો હતો અને રક્તિમશી લાલીમાને પોતાના સર્વાંગી પથમાં રેલાવી રહ્યો હતો. મંદમંદ મુસ્કાનથી સંધ્યારાણી પણ પોતાનો પાલવ ફરકાવી રહી હતી. વાતાવરણ ખૂબજ આહ્લાદક બની ગયું અને તેઓ આ સંધ્યાને માણી રહ્યાં હતાં.
થોડે દૂર અવાવરુ ખંડેર જેવું મકાન દેખાતું હતું. એ બન્નેનું ધ્યાન તેના પર ગયું. તેમને થયું ચાલ આજે તો આ મકાનની મૂલાકાત લઈએ. એક અલગ દુનિયાની મુસાફરી કરીયે. કહેવાય છે જ્યાં કોઈ રહેતું ન હોય ત્યાં અગોચર મનમાં કોઈની હાજરી જરૂર જણાય છે. હવે આ હાજરી કોની? ભૂત, પ્રેત કે વહેમ? તેઓ જતાં હતાં ત્યારે ઘણાં લોકોએ તેમને એ બાજુ જવાની ના પાડી છતાં નીરવ તેના સ્વભાવ પ્રમાણે અગોચર મનને અભિનવ પ્રયોગમાં જોડાવા માંગતો હતો આથી ત્યાં જવાની તેની જીદ પણ વધી ગઈ.
નીતાને તો ડર પણ લાગતો હતો અને મોડુ પણ ઘણું થયું હતું આથી તેને ઘરે લડશે એમ કહી ત્યાંથી જતી રહી પણ નીરવ તો અંધારાના ઓળા ઉતરી આવે ત્યાં સુધી રાહ જોતો રહ્યો.
છેવટે એ રાત આવી પહોંચી. સુનકાર જગ્યાએ તમરાંઓના અવાજો અને તારાઓનાં ઝબકારા સીવાય કશું દેખાતું ન હતું.
એકદમ માહોલ બદલાઈ ગયો. હવાના સૂસવાટા થવા લાગ્યાં. જાતજાતના અવાજો સંભળાવવા લાગ્યાં. તોપણ નીરવ ત્યાંથી ખસ્યો નહીં. થોડીવારમાં એક ધુમ્રસેરનાં વલયમાં એક સ્ત્રીની રેખાંકૃતિ પ્રગટ થઈ. પહેલા થોડો ગભરાયો પણ તેણે હિંમત ગુમાવી નહીં. તે ત્યાંજ ઉભો રહ્યો અને તેને પૂછ્યું, "તું કોણ છે?" એ સ્ત્રીએ કહ્યું, "હું એક શાપિત આત્મા છું. મને આ પ્રેતયોનીમાંથી છોડાવ". નીરવ કહે, "એ મારા હાથની વાત નથી". એણે કહ્યું, "તો તું આ જગ્યા છોડીને જતો રહે. નહીં તો સવાર સુધીમાં તારો આત્મા આ શરીર છોડીને અમારી સાથે પ્રેતયોનીમાં ભટકવા આવી જશે".નીરવ કહે," એ શક્ય નથી. મેં તારું શું બગાડ્યું છે"? એ બોલી," આ અમારી દુનિયા છે અને તેં એમાં પગ મૂક્યો છે તો તારે ભોગવવું પડશે". નીરવ કહે, "એ શક્ય નથી. હું કંઈ તારું ખરાબ કરવા નથી આવ્યો. મારે એક અભિનવ પ્રયોગ કરવો છે કે પ્રેત ખરેખર હોય છે? આજે રૂબરૂ મળી લીધું. બસ હવે હું જઈ રહ્યો છું".એણે કહ્યું," ના, એમ જવા ન મળે. અમને ઓળખ્યા પછી અહીંથી કોઈ જીવતું પાછું ગયું નથી. તો તારે મરવું પડશે".નીરવે પડકાર ફેંક્યો," થાય તે કરી લે. તું મારું કંઇ બગાડી નહીં શકે ".
દ્રઢ મનોબળ અને જીવનનાં એક પ્રયોગના ભાગે તેને ખ્યાલ આવ્યો કે તેણે કોને પડકાર આપ્યો છે. આજે હનુમાન ચાલીસા કરીને રક્ષણ મેળવવાનો પ્રયાસ કરવાનો હતો. તે ખૂબ મોટેથી હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. થોડી વારમાં તો વાતાવરણ બદલવા લાગ્યું. શાપિત આત્મા ચીસો પાડીને ભાગવા લાગી. નીરવે આંખો ન ખોલી છતાં બંધ આંખોએ તે શાપિત સ્ત્રીને પાછી ધુમ્રસેરમાં સમાતી જોઈ. વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ. નીરવનો અજર અમર હનુમાનજીની શક્તિનો અભિનવ પ્રયોગ સફળ થયો. તેણે મનોમન હનુમાનજીને વંદન કર્યા. સવાર થતાં તે ઘેર પહોંચી આખી રાતનાં ઉજાગરાનો થાક ઉતારવા ઘસઘસાટ ઊંઘી ગયો.
અસ્તુ.
રેખા પટેલ "સખી",
માંજલપુર,
વડોદરા.

Comments
Post a Comment