શીર્ષક :- શ્રાવણ ✍️ મૈત્રી ઉપાધ્યાય..અમદાવાદ
રૂપિયાપુર નામનું એક ગામ હતું. આ ગામ ખેતરોથી ભરપૂર હતું. ધન-ધાન્યથી ભરપુર ગામમાં દુધાળા પશુઓની પણ કમી ન હતી. આ ગામનું દૂધ તો બીજા શહેરોમાં પણ વખણાતું હતું અને અન્ય ગામ અને શહેરમાં પણ જતું હતું. શ્રાવણ મહિનો આવે ત્યારે તો ગામના અને બહારના મંદિરોમાં દૂધની માંગ ખૂબ જ વધી જતી. જેમ દૂધ વધુ વેચાતું ગયું એમ દરેક પશુપાલકોમાં લાલચ વધતી ગઈ. તેઓ દૂધમાં વધુ પ્રમાણમાં પાણી નાખીને વેચવા લાગ્યા અને આવું પાણીવાળું જ દૂધ મંદિરોમાં જતું.
થોડા સમય પછીની વાત છે. શ્રાવણ મહિનાની શરૂઆત હતી અને દરેક પશુઓ પ્રમાણમાં ખૂબ જ ઓછું દૂધ આપવા લાગ્યા. દૂધનું વેચાણ પણ ઓછું થઈ ગયું. દરેક પશુપાલકો વિચારવા લાગ્યા કે આવું શા કારણે થઈ રહ્યું છે? અને થોડા સમય પછી તો કેટલાક પશુઓ પણ મૃત્યુ પામ્યા. દૂધ ન મળતાં કેટલાંક બાળકો પણ બીમાર પડવા લાગ્યા. શ્રાવણ મહિનામાં ગામમાં તહેવારને બદલે શોકનું વાતાવરણ સર્જાઈ ગયું.દરેક પશુપાલકોને અને ગામના લોકોને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમને સમજાઇ ગયું કે,"આ આપણી કરેલી લાલચનું પરિણામ છે કે શ્રાવણ મહિનામાં શંકર ભગવાન આપણી ઉપર કોપાયમાન થયા છે અને એટલે તેમને પ્રિય દૂધ આપણને મળી રહ્યું નથી આપણે લોકોને છેતર્યા છે".
થોડા દિવસો બાદ દરેક ગામના લોકોએ સાથે મળીને રોજ મહાદેવની પૂજા કરી તેમને રીઝવ્યા અને પોતે કરેલી ભૂલને દરેકની સામે કબૂલી. જોતજોતામાં જ જાણે મહાદેવનો શ્રાવણ મહિનામાં ચમત્કાર થયો અને દરેક પશુ સાજા થઈ ગયા. પહેલા જેવું જ દૂધ આપવા લાગ્યા અને ફરીથી રૂપિયાપુરા ગામ જે દૂધથી છલોછલ રહેતું હતું અને જે ના દૂધના વખાણ ગામેગામ અને શહેરો સુધી થતા હતા તે ફરી થવા લાગ્યા અને મહાદેવના મંદિરમાં પણ શ્રાવણ મહિના ઉપરાંત દરરોજ દરેક ગરીબને મફતમાં દૂધ જતું હતું.
મૈત્રી ઉપાધ્યાય
અમદાવાદ

Comments
Post a Comment